આ વખતે ઇન્ડિયા જવાનું લગભગ અઢી વર્ષે બન્યું.
એક તો ઘણા સમય પછી જવાનું અને લગભગ પાંચ મહિના જેટલું રોકાણ. ધરતી પર પગ જ નહોતા પડતા એટલી ખુશી હતી.
શરૂઆતમાં બધાને મળી. ખુબ જ મજા આવી. દિલ ખુશ ખુશ થઇ ગયું.
પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કંઈક અલગ જ વાતાવરણ સર્જાવા લાગ્યું.
સગા-સંબંધીઓ દુર થતા ચાલ્યા. મારા હોવા ના હોવા સાથે ઘણા સગાઓને કોઈ ફરક જ નહોતો પડતો.
ઘણા સંબંધો તૂટી પણ ગયા. કદાચ એ સંબંધો હવે ફરીથી ક્યારેય નહિ જોડાય.
બધાની વચ્ચે રહીને જોયું કે હું તેમની સાથે પણ એકલી જ છું. સંબંધો માત્ર હું ઇન્ડિયા જવું તે સમય પૂરતા જ મર્યાદિત છે.
દરેક પોતાની ધૂન માં મસ્ત છે. બધાના મોઢા પર પૈસાની જ વાત છે. કોઈ મોબાઈલ પર લાગેલું છે. તો કોઈ ફેસબુક પર. સાથે રહેતા કે પાસે બેઠેલા વ્યક્તિથી સહુ અજાણ છે. સૌ પોતાની વર્ચ્યુઅલ દુનિયામાં જ રહેવાનું પસંદ કરે છે. કોઈને નજર સામે દેખાતી વાસ્તવિક દુનિયામાં રહેવું જ નથી. દરેક વ્યક્તિ એકબીજાની માત્ર પૈસાથી જ તુલના કરે છે.
આ બધું જોઇને થોડાક વિચારો આવી ગયા. શક્ય છે કે મારી જેમ તમે પણ કોઈ દિવસ આવો અનુભવ કર્યો હોય. (એટલી જ આશા કે આવા અનુભવ કોઈને ના થાય)
– શું હું ઇન્ડીયા ની બહાર રહું છું એટલે બધાએ એવું જ માની લીધું છે કે હવે પ્રીતિ ક્યારેય પાછી ફરવાની નથી?
– શું હું ઇન્ડિયા જાઉં ત્યારે થોડોક પ્રેમ મેળવવાની આશા ના રાખી શકું કે પછી એ આશ જ ના રાખવી જોઈએ?
– શું સંબંધો માત્ર ગણતરીના જ હોય છે?
– જો સંબંધો માત્ર ગણતરીના જ હોય તો એવા સંબંધોની જરૂરિયાત શી?
– નિઃસ્વાર્થ સંબંધો શું માત્ર વાર્તાઓમાં જ રહી ગયા છે?
– માતા-પિતા સિવાય દુનિયામાં પોતાના કહી શકાય એવા સંબંધો કેટલા?
– આપણે આપના સંતાનોને શું ભવિષ્ય આપી રહ્યા છીએ?
બધા જ સંબંધો જાણે મૃગજળની જેમ માત્ર આભાસી બની રહ્યા છે.
———————————–
આ બધાની વચ્ચે ચહેરા પર સ્મિત લાવે તેવા પ્રસંગો પણ બની ગયા.
મારો એક ભાઈ — જેની સાથે હું સ્કુલ માં ભણતી હતી તે સમયે રાખડી બાંધી ને ભાઈ બનાવેલો તે — તેને લગભગ દસ વર્ષ પછી મળવાનું બન્યું. આ દસ વર્ષ દરમિયાનમાં પત્રવ્યવહાર અને તે પણ રક્ષાબંધનના સમયે ચાલુ જ હતો. બસ આવા જ ભાઈને ત્યાં લગ્નના લગભગ બાર વર્ષ પછી દીકરીનો જન્મ થયો. અને અમારે અચાનક જ મળવાનું બની ગયું. અમે મળ્યા તો પણ એટલા જ પ્રેમ થી. એ જ આત્મીયતા. એ જ લાગણી.
પછી તો અમે ઘણી બધી વાતો કરી. એ પોતે લંડન જઈને પણ આવ્યો તેની વાતો કરી. એ જયારે લંડનથી પાછો આવ્યો ત્યારે તેને પણ સંબંધીઓ સાથે લગભગ મારા જેવા જ અનુભવો થયા. એ પણ સંબંધીઓથી દુઃખી થઇ ગયો.
વિચાર્યું તો લાગ્યું કે સગા-સંબંધીઓ કરતા તો મિત્રો મળવાનો આનંદ વધારે થયો. એ જ લાગણી ને આત્મીયતા થી મળી શકાયું.
———————————-
આ બધા સાથે ભગવાન તરફથી દીકરાના આશીર્વાદ તો મળેલા જ હતા પણ હવે દીકરી ના આશીર્વાદથી પણ નવડાવી દીધી. 🙂
———————————-
બસ, ખરાબ અનુભવ ભૂલીને સારા સ્મરણો લઈને મારા હર્યા ભર્યા કુટુંબ સાથે મસ્કત પાછી આવી ગઈ. 😀